બહુ સુદર નિર્ણય લેવામાં આવ્યો છે. નકલી નોટો પણ સળગાવાઈ રહી છે. જેમની પાસે નકલી નોટો છે અથવા મોટાં પ્રમાણમાં કાળું નાણું છે, તેઓ ૨૦૦ % દંડ ભરવો પડશે તે ડર ને લીધે થેલાઓ ભરીને નોટો સળગાવી રહ્યા છે. ૨૦૧૪ ની ચુંટણી નું સંપૂર્ણ લક્ષ્ય બ્રષ્ટાચાર નાબુદી હતું અને જે વચનને આપણા પ્રિય પ્રધાનમંત્રીએ પાળી બતાવ્યું છે. આ બધું અચાનક કરવામાં આવ્યું નથી.
પહેલા તેમણે જન સમુદાય ને બેંક માં ખાતાં ખોલાવવા માટે અપીલ કરી. એક જ વર્ષમાં કરોડો લોકોએ બેંકમાં ખાતાં ખોલાવ્યાં. આટલાં વર્ષોમાં ન બનેલી, આ એક વાસ્તવમાં અભૂતપૂર્વ ઘટના છે. છેલ્લા ૭૦ વર્ષોમાં આવું બન્યું નથી. જેમની પાસે નાણાં ના હતાં, તેમનાં પણ બેંક એકાઉન્ટ ખુલી ચૂક્યાં હતાં.
ત્યાર પછી તેઓએ નિવેદન કર્યું કે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જેમની પાસે પણ કાળું નાણું છે તેને જાહેર કરી દેશો તો કોઈ પગલાં લેવામાં નહિ આવે. તો આવી પણ છૂટ આપી. શામ, દામ, ભેદ, દંડ ની નીતિમાં છેલ્લું પગલું દંડ નું હોય છે. હવે જો કોઈ નાખુશ કે નારાજ થાય છે કે નિશ્વાસ નાખે છે તો તે તેમની અણસમજ જ કહેવાય! ૩૦ સપ્ટેમ્બર સુધીમાં, પ્રમાણિકતા પૂર્વક કાળા ધનની જાહેરાત કરી લેત તો સારું હતું!
દીર્ઘકાલીન કલ્યાણ:
જે કંઈ થઇ રહ્યું છે, તેનાથી તત્કાલીન તકલીફોનો સામનો કરવો પડશે, પરંતુ દીર્ઘકાલીન કલ્યાણ માટે આમ કરવું અનિવાર્ય છે. દૂરદર્શિતા થી વિચારીએ તો, આ પગલાંથી દેશનું કલ્યાણ જ થવાનું છે. આપણા રાષ્ટ્રમાં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે સામાન્ય માનવી પોતાનું ઘર કે જમીન ખરીદવાનું સામર્થ્ય ધરાવતો નહોતો. જમીન ના ભાવ આસમાન પર પહોચી ગયા હતા. આ પગલાં થી આ સઘળું નિયંત્રણમાં આવવા લાગશે. આ એક અત્યંત આવશ્યક પગલું લેવામાં આવ્યું છે. તેનાથી લોકોનું માત્ર અને માત્ર કલ્યાણ જ થશે. જે તકલીફો અત્યારે પડી રહી છે, તે મારા મત મુજબ તદ્દન નગણ્ય છે.
સ્વયંસેવકો કાર્યશીલ:
અમારા સ્વયંસેવકો એટીએમ બુથની પાસે જઈને લોકોને પાણી ઈત્યાદી ની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે. જે લોકોને કોઈ બાબતનો અસંતોષ છે કે તણાવ છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. સ્વયંસેવકોનો અનુભવ છે કે લોકો બહુ જ શાંતિથી, સ્મિત સાથે જે કંઈ ગતિવિધિ કરવાની છે તે કરી રહ્યાં છે. ક્યાંય કોઈ લડાઈ ઝગડો જોવામાં આવ્યો નથી. થોડી અશાંતિ જેવું લાગે ત્યાં સ્વયંસેવકો ઉભા રહે છે, તેમને શાંત કરે છે, પાણી આપે છે. ૨-૩ કલાક ખાધા વગર લાઈનમાં ઉભાં રહેવું મુશ્કેલ છે તો તેમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે. વૃદ્ધ નાગરિકોને લાઈનમાં આગળ રહેવા દેવા માટે પણ તેઓ વિનંતી કરીને વૃદ્ધોને સહાય કરે છે. અમારા સ્વયંસેવકો આ કાર્ય અનેક સ્થળો પર કરે છે. હું તેમનાં આ કાર્યની પ્રશંસા કરું છું. સવાર થી સાંજ સુધી બેંક અધિકારીઓ પણ સતત કામ કરી રહ્યા છે. આટલા વર્ષોમાં કદાચ ક્યારેય નહિ અનુભવ કર્યો હોય તેટલો કાર્ય ભાર એક જ દિવસમાં તેમણે અનુભવ્યો છે. સ્વયંસેવકો તેઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને મદદ કરી રહ્યા છે. આવનાર ચાર-પાંચ દિવસોમાં કદાચ કોઈના ઘરે લગ્ન અથવા અન્ય પ્રસંગ છે છતાં પણ તે સઘળું છોડીને, કર્મચારીઓ શનિવાર-રવિવાર ની પણ રજા લીધા વગર કામ કરી રહ્યા છે.
સ્વયંસેવકોને ફરીથી કહું છું કે જગ્યાએ જગ્યાએ જઈને બેંક કર્મચારીઓને પ્રોત્સાહન આપો, તેમને અભિનંદન આપો, તેમનો ઉત્સાહ વધારો. ૫૦ દિવસનો સમય છે. ગભરાવાની જરૂર નથી. એક જ એટીએમ પર તૂટી પડવાની પણ જરૂર નથી. શાંતિથી જઈ શકીએ છીએ, અને આપણી મહેનત ની કમાણી છે, ઘરમાં રાખેલી બચત છે તેને ૫૦ દિવસ દરમ્યાન શાંતિથી બેંકમાં જઈને જમા કરાવી શકીએ છીએ. ગભરાવાની બિલકુલ જરૂર નથી.
શ્રી શ્રી રવિશંકરજી એ આ સંદર્ભમાં ટ્વીટ પણ કરેલ છે:
— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) November 11, 2016
“હું તેઓ સહુ, જેઓ કાળા નાણાંને સળગાવી રહ્યાં છે, તેમને આવું કરવાને બદલે, આ ધન દુષ્કાળ પીડિત ખેડૂતોમાં વહેચી દેવા માટે અનુરોધ કરું છું. “
#DeMonetisation pic.twitter.com/NdY7IWu41D
— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) November 13, 2016
“ સમગ્ર ભારતવર્ષમાં આર્ટ ઓફ લિવિંગ ના સ્વયંસેવકો, બેંક કર્મચારીઓ તથા લાઈનમાં ઉભાં રહેલાં લોકો નું કાર્ય સરળ કરવા માટે મદદ કરી રહ્યા છે.”
સ્વયંસેવકો અનેક સ્થળો પર કામ કરી રહ્યા છે અને બેંક કર્મચારીઓએ પણ તેમની પ્રશંસા કરી છે. આવા સમયમાં લોકોને સહાયરૂપ થવું તે એક ઉદાહરણરૂપ ઘટના છે. પ્રસ્તુત લેખમાં દેશના વિભિન્ન ભાગોના ફોટોગ્રાફ સંમિલિત છે. આ સેવા કાર્ય આ જ રીતે અનેક સ્થળોએ ચાલતું રહેશે.